ત્રાટકનો હેતુ આપણી આંતરિક ક્રિયાઓ ઉપર કાબુ વધારવાનો છે. આપણા વિચારો,
લાગણીઓ, ભાવનાઓને ગમેતેમ અસ્તવ્યસ્ત રીતે વિહરવા ન દેવા માટે આ સાધન છે.
આનાથી એ બધાનો યોગ્ય પટ આપને રચી શકીશું ને તેવી આત્મશ્રધ્ધા આપણને
ત્રાટકમાંથી જન્મવી જોઈએ.
ત્રાટકમાં હદય ઉપર આંતરદ્રષ્ટિ રાખવાથી લીનતા આવે છે, એ સાચું છે. પણ
બાહ્યદ્રષ્ટિ તો ત્રાટકબિંદુમાં જ રાખશો. આજુબાજુનું કશું દેખાવું ન જોઈએ.
માત્ર બિંદુ જ દેખાય. પાપણ પણ ત્યારે મુદ્દલ ફરકવી ન જોઈએ. ત્રણ કલાક સુધી
તે પ્રમાણે લઇ જવાનું છે. પરંતુ વૃત્તિ ઉપર કોઈ જાતનો બળાત્કાર નથી કરવાનો.
જેમ જેમ પ્રેમ, રસ તેમાં જામતા જાય, તેમ તેમ સમય વધારતા જવું. આંખ મીચાઈ
જાય કે પાપણ ફરકી જાય તો બંધ કરી દેવું રહ્યું. તે વખત પૂરતું તે પૂરું
થયું ગણી લેવું. પૂરું થયા બાદ ઠંડા પાણીથી આંખોને છાલકો મારવી યા ઠંડા
પાણીમાં પાંચેક મિનીટ બોળી રાખવી. ને તે બાદ આંખો મીચીને થોડા સમય બેસી
રહેવું યા સૂઈ જવું ને નામસ્મરણ કરવું. આંખે લૂગડાંનો જાડો સ્વચ્છ પાટો
બાંધી રાખવાથી પણ વધુ ઠીક રહેશે–આંખને આરામ વધુ મળશે.
શરૂઆતમાં જરા પણ ભાર આંખના પોપચા ઉપર ન દેશો. ધીમે ધીમે સહજ રીતે હળવે
હળવે આંખ ઉઘાડવાનું રાખવું ને ત્યારે જો ખુબ પ્રેમભાવ ઉભરાતો રાખી શકીએ તો
ઉત્તમ.
બિંદુ-ત્રાટક એ આપણી બહિર્મુખ સર્વ સ્થૂળ અને સુક્ષ્મ પ્રવૃત્તિઓમાંથી
એકમાં કેમ કરીને એકાગ્ર રહી શકાય એને માટે છે. જ્યોતનું ત્રાટક શક્તિના
આહ્વાન માટેનું છે. (જ્યોત તદન સ્થિર, લગીર પણ હાલ્યા વિનાની રહેવી ઘટે.)
બન્નેયે જરૂરી છે.
ત્રાટકમાં બેસતા પહેલા મનથી ખુબ નિશ્વય કરીને બેસવું કે પાંપણો ફરકવાની
નથી જ. આપણે આપણી સંકલ્પશક્તિને જન્માવવાની ને સર્વોપરી કરવાની છે. આંખની
પાંપણો ફરકે તો એ ત્રાટક ન કહેવાય. જ્યોત ત્રાટક દિવસમાં બે વાર થઇ શકે.
બિંદુ-ત્રાટક ત્રણ-ચાર કલાકને અંતે બે થી ત્રણ વાર થઇ શકે. બિંદુ ત્રાટક કે
જ્યોતની ઉચાઇ આંખની સીધાણમાં સામે જ આવે તેમ રાખવાનું. અંદરની કીકી
હાલતી નહી લાગતી હોય પણ એની Pitch-એકાગ્ર દ્રષ્ટિપાતની જગા કઈક બદલાતી હશે,
પણ નજર જો મધ્યબિંદુ પરથી ખસતી ન હોય તો કઈ હરકત નથી. દેખાવ ઝાંખો ઝાંખો
થઇ જાય છે એ તો એકીટશે જોઈ રહેવાને લીધે.
સૂર્યનું ત્રાટક છ સાત મિનીટ જ રાખશો અને એ પણ તદ્દન ઊગતા સૂર્યનું. કિરણો તદ્દન કુમળા હોવા જોઈએ.
ત્રાટક વેળાં સુક્ષ્મ આંખ અને મન હદયમાં કેન્દ્રિત હોવા જોઈએ. ચંદ્રમાં
સામે પણ ત્રાટક કરી શકાય, પણ ત્યારે શો ભાવ ધારણ કરીએ છીએ એ મહત્વનું હશે.
ત્રાટક વેળાં જપ તો આપણે ચાલુ રાખ્યા જ કરવાના છે. ત્રાટકથી આંખો બગડે
નહી એટલું જ નહી પણ આંખોનું તેજ વધે છે. દ્રષ્ટિ લાંબે સુધીની થાય છે.
ત્રાટક સમયે જે જે વિચારો આવે એ ભલે ગમે તેવા લલચાવનારા હોય તો તેમાં રસ ન
લેવો. એને અનુષંગીક વિચારની સાંકળ ન જોડવી. ત્યારે નાડીના ધબકારા ગણજો.
ત્રાટક વેળાં હદયમાં જેટલા ઊંડા ઊતરી શકાય તેટલું ઉત્તમ. ત્યાં જ વધારે
મહત્વ આપશો. ધૂન, જપ, ભજન સિવાય પણ તેમાં ભાવ જામી શકે તો તે ઉત્તમ.
અંતર્મુખતા પણ પ્રગટવી જોઈએ.
No comments:
Post a Comment