પ્રત્યેક વ્યક્તિના જીવનમાં પાંચ સ્થાનો હોવાં હોઇએ.
૧. હસવાનું ૨. રડવાનું ૩. સલાહ લેવાનું ૪. તડાકા મારવાનું અને ૫. આશ્વાસનનું
૧. હસવાનું ૨. રડવાનું ૩. સલાહ લેવાનું ૪. તડાકા મારવાનું અને ૫. આશ્વાસનનું
૧. જીવનનું સૌથી મોટું વિટામિન હાસ્ય છે. જે હસે છે, હસાવે છે, તે લાંબું જીવે છે. પણ હસવું લાવવું કયાંથી? જો તમારી પ્રકૃતિમાં જ હસવું ના હોય તો મનહૂસ થઈને જીવતા જ રહેશો. પહેલાં રાજામહારાજાઓ હસવા માટે દરબારમાં વિદૂષક રાખતા, જે તેમને નિર્દોષ હાસ્ય આપ્યા કરતાં. આપણે કોઇ વિદૂષક ન રાખી શકીએ તો કાંઇ નહીં એવી એકાદ જગ્યા રાખીએ કે જ્યાં હળવાશથી મન મૂકીને હસી સકીએ. હા, તે માટે તમારે તમારી મોટાઇનો મહાનતાનો ભાર ઉતારી દેવો પડે.
૨. એક જગ્યા રડવાની પણ હોવી જોઇએ. એવું કદી બને જ નહીં કે જીવનમાં રડવાનું આવે જ નહીં. સંબંધોની દુનિયામાં રડવાનાં નાનાં-મોટાં કારણો આવતાં જ હોય છે. રડ્યા વિના પણ ઘટનાના આઘાતને પાર કરી શકાતો નથી. અને આવું કરે તો તે મહાપુરુષ છે. પણ તેથી તેમના જીવન પર અનાશ્યક દબાણ વધી જતું હોય છે. આઘાત કફ જેવો છે. જો તમે તેને ખાંસી-ખાંસીને બહાર ના કાઢો તો છાતીમાં અંદર ભરાયા કરે. એ તકલીફ કરે શાંતિ ન લેવા દે. આઘાતને ધ્રુસકે ધ્રુસકે રડીને બહાર કાઢી નાખો તો હળવાશ થઈ જાય. પણ રડવું ક્યાં? બાળકને રડવા માટે જગ્યા મા છે. પણ મા ક્યાં રડે? પતિના ખભા ઉપર. પણ પતિ ક્યાં રડે? ક્યાંય નહીં. કોઇ જગ્યા જ નથી. કોઇ અત્યંત વિશ્વસનીય જગ્યા હોય તો રડી શકાય. નહીં તો ભગવાન આગળ પણ રડી લેવાની જગ્યા રાખવી.
૩. એક સલાહ લેવા માટેની જગ્યા પણ રાખજો. પણ શકુનિ જેવી નહીં, કૃષ્ણ જેવી. ગમે તેટલા બુદ્ધિશાળી હોવ તો પણ સલાહની તમારે જરૂર રહેવાની જ. મોટાં કામો કદી પણ સલાહ વિના ન કરાય. જેને કોઇની સલાહની જરૂર નથી હોતી તે ઘમંડી છે. તેનો નાશ થશે. પણ ડાહ્યા માણસોને તો સાચી સલાહની જરૂર હોય જ છે. આવી એક સલાહ લેવા માટેની જગ્યાની જરૂર પણ રહે.
૪. એક તડાકા મારવાની જગ્યા રાખજો. તડાકા એટલે હળવાશથી હળવી વાતો કરવી તે. ઊંડામાં ઊંડો સમુદ્ર પણ કિનારે છીછરો હોય છે. તેમ તમે પણ ગમે તેટલા મોટા હો, મહાન હો પણ કિનારે તો છીછરા જ થજો. પત્ની, બાળકો, મિત્રો વગેરેની સાથે ઊંડાઇ ન શોભે. ત્યાં તો છીછરાપણું જ શોભે. જેથી તેમાં તેઓ નાહી શકે નહીં તો તમારાથી દૂરના દૂર જ રહેશે. પણ તડાકાનો અર્થ કોઇની નિંદા કે ચાડીઉગલી ન સમજવું
૫. એક આશ્વાસન મેળવવાની જગ્યા રાખજો. તમે ગમે તેટલા કુશળ અને મહાન હશો પણ જીવનમાં ઘા તો લાગવાના જ છે. દુઃખ વિનાનું કે ઘા વિનાનું જીવન હોતું નથી. ઘા રુઝાય તેવો મલમ લગાડી દે તેને આશ્વાસન કહેવાય. જ્યારે જ્યારે ઘા વાગે ત્યારે ત્યારે એવી કોઇ જગ્યા રાખજો જે તમારા ઘા ઉપર મલમ ચોપડી આપે. ઘા વાગવા કરતાં ઘા રુઝાય નહીં તે દુઃખદાયી છે. જેને જૂના ઘા રુઝાયા વિનાના પાક્યા કરે છે તેને ભલા શાંતિ ક્યાંથી હોય? ઘા રુઝવી આપે તેને સંત કહેવાય. કોઇ સાચા સંતનો સાથ રાખજો. આશ્વાસન અને રૂઝ બને મળશે. બાળક રમતાં રમતાં પડી જાય અને રડવા લાગે ત્યારે માતા કે પિતા છાતીએ લગાડે ત્યારે બાળક શાંત થઇ જાય છે કેમ કે તેને આશ્વાસન મળી જાય છે. અને પછી તે પાછું તે ખુશ થઇને રડવા લાગે છે.
No comments:
Post a Comment