તોછડા તેજેન્દરને એકવાર એના માથાનો રિક્શાવાળો મળી ગયો. રાજસ્થાનના એક
નાનકડા શહેરમાં કોઈક કામસર એનું જવાનું થયું. ત્યાં તો શહેરની જેમ મીટર પર
કે અલાયદા પ્રવાસી માટે રિક્શા હોય નહીં. તેજેન્દરે પરાણે એવી રિક્શામાં
બેસવું પડ્યું જેમાં ત્રણ જણની જગ્યામાં છ-સાત જણને ઠઠારવામાં આવે. અને પછી
થઈ એની અને રિક્શાવાળાની બોલાચાલી. તેજેન્દરના શહેરી લટકા-મટકા સામે
રિક્શાવાળાએ રોકડું પરખાવી દીધું, “સાહેબ, બેઠણું હે તો બેઠો બાકી નીચે ઉતર
જાવ ઔર પૈદલ નિકલો અપને રસ્તે.” સમસમીને તેજેન્દર બેઠો રહ્યો. કરે પણ શું,
બળબળતા તડકામાં ચાલતા જવાનો વિચાર પણ ભારે પડે એવો હતો અને બીજી કોઈ
રિક્શા અત્યારે મળે એ વાતમાં પણ માલ નહોતો. ટૂંકમાં, લક્ઝરી અને
એશોઆરામવાળો પ્રવાસ કરવાને ટેવાયેલા તેજેન્દરે રિક્શાવાળાની મણમણની સાંભળવી
પડી, આખે રસ્તે અને જેમ એને બેસાડવામાં આવ્યો તેમ બેસીને પરાણે પ્રવાસ પણ
પૂરો કરવો પડ્યો. પરાણે ચૂપ રહેવાનું, લાંબી જીભને ટૂંકી કરવાનું, અગવડ
ચલાવી લેવાની એ બધું જો સ્વેચ્છાએ પણ સ્વીકારી લેવામાં આવે તો શું બગડે
માણસનું? દરેક હાલમાં, દરેક તાલમાં, દરેક સ્થિતિમાં અને દરેક જગ્યામાં
મીઠી જુબાન હોય, જરૂર પડ્યે સમાધાન કરી લેવાની ઉદારતા હોય અને જ્યાં જઈએ
ત્યાં રોફ કે રૂવાબથી નહીં પણ વ્હાલથી અને માનથી પોતાની જગ્યા બનાવી લેવાની
ઇચ્છા હોય તો ક્યારેય દુ:ખી થવાય કે? જરાય ના થવાય, જેને માણસમાત્રમાં
મિત્ર મળી શકે, તકલીફમાત્રમાં રાહત મેલવતા આવડી જાય એને વળી શાની પીડા અને
શાનું દુ:ખ? જેટલી સારી રીતે મિત્રો બનાવશો અને બદલાતી સ્થિતિમાં ગોઠવાતા
જશો એટલી સારી રીતે જિંદગીને માનવામાં નિષ્ણાત થઈ જશો. એકવાર પોતાનો રૂવાબ
અને બિનજરૂરી દેખાડો એ બધાનો બોજ પડતો મૂકીને સારું વર્તન કરી તો જુઓ, ફરક
આપોઆપ સમજાઈ જશે.
No comments:
Post a Comment